12

1 એક સમયે વિશ્રામવારે, ઈસુ અને તેમના શિષ્યો અનાજના ખેતરોમાં થઈને જતા હતા. શિષ્યો ખૂબ ભૂખ્યા હતા, તેથી તેઓ કણસલાં તોડીને તેમાંના દાણા ખાવા લાગ્યા, જે માટે મૂસાના નિયમમાં મંજુરી આપવામાં આવેલી હતી. 2 તેઓ તેમ કરતા હતા તેવું કેટલાક ફરોશીઓએ જોયું, તેથી તેઓએ ઈસુને કહ્યું, "જુઓ! વિશ્રામના દિવસે તમારા શિષ્યો કામ કરે છે. નિયમશાસ્ત્ર તેની મંજૂરી આપતું નથી!" 3 પરંતુ ઈસુએ ઉતર આપ્યો, "તમારા પૂર્વજ દાઉદ અને તેના માણસો જ્યારે ભૂખ્યા હતા ત્યારે તેઓએ શું કર્યું તે શાસ્ત્રવચનમાં લખેલું છે. 4 જે પવિત્ર તંબુમાં તેઓ ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં દાઉદ રાજા પ્રવેશ્યો અને ઈશ્વર સમક્ષ મૂકેલી રોટલી તેણે ખાધી. મૂસાના નિયમ પ્રમાણે, માત્ર યાજકોને જ તે ખાવાની પરવાનગી હતી, પરંતુ દાઉદ અને તેની સાથે જે માણસો હતા તેઓએ તે ખાધી. 5 વળી, મૂસાએ જે લખ્યું છે તે તમે ચોક્કસ વાંચ્યું હશે, કે જ્યારે તેણે કહ્યું કે યાજકો, વિશ્રામવારના દિવસે આપણા ભક્તિસ્થાનમાં કામ કરવાથી, યહૂદીઓના વિશ્રામવારના નિયમ ન પાળવા છતાં દોષિત ઠરતા નથી. 6 તેનો શું મતલબ છે તે મને કહેવા દો: હું તમારી પાસે આવ્યો છું, અને હું આ ભક્તિસ્થાન કરતાં વધારે મહત્વનો છું. 7 શાસ્ત્રવચનમાં ઈશ્વરે જે વચનો કહ્યાં તે પર તમારે વિચાર કરવો જોઈએ: 'માત્ર બલિદાનો આપો એટલું જ નહીં, પરંતુ હું ઇચ્છું છું કે તમે લોકો સાથે ભલાઈપૂર્વક વર્તો.' તેનો શો અર્થ છે તે જો તમે સમજ્યા હોત, તો મારા શિષ્યો કે જેઓએ કંઈ જ ખોટું કર્યું નથી, તેઓને તમે દોષિત ઠરાવ્યા ન હોત. 8 હું માણસનો દીકરો છું, અને મને વિશ્રામવારના દિવસે લોકોએ શું કરવું તે કહેવાનો અધિકાર છે."

9 તે દિવસે ઈસુ ત્યાંથી નીકળીને, સભાસ્થાનમાં ગયા. 10 ત્યાં તેમણે સુકાઈ ગયેલા હાથવાળા માણસને જોયો. ફરોશીઓ એમ ઇચ્છતા હતા કે તેઓ ઈસુ સાથે વાદવિવાદ કરે, તેથી તેઓમાંના એકે તેમને પૂછ્યું, "શું ઈશ્વર આપણને વિશ્રામવારના દિવસે લોકોને સાજા કરવાની મંજૂરી આપે છે?" તેઓ એવી આશા રાખતા હતા કે કંઇક ખોટું બોલવા દ્વારા ઈસુ પાપ કરે. 11 તેમણે તેઓને જવાબ આપ્યો, "ધારો કે તમારામાંના કોઈ પાસે માત્ર એક જ ઘેટું હોય, અને વિશ્રામવારના દિવસે તે ઊંડા ખાડામાં પડી જાય. તો શું તમે તેને ત્યાં જ છોડી દેશો? ચોક્કસ તમે તેને ત્યાં પડ્યું નહિ જ રહેવા દો! તમે તેને પકડીને બહાર કાઢશો! 12 પરંતુ વ્યક્તિ તો ઘેટાં કરતાં પણ વધારે મૂલ્યવાન છે. તેથી કોઈપણ દિવસે અને વિશ્રામવારના દિવસે પણ, માણસને સાજો કરવો તે અવશ્ય સારું જ છે!" 13 પછી તેમણે તે માણસને કહ્યું, "તારો હાથ લાંબો કર!" તે માણસે તેનો સુકાઈ ગયેલો હાથ લાંબો કર્યો, અને બીજા હાથની જેમ તે સારો થઈ ગયો. 14 પછી ફરોશીઓ સભાસ્થાનમાંથી ચાલ્યા ગયા. તેઓ સાથે મળીને કાવતરું ઘડવા લાગ્યા કે તેઓ ઈસુને કેવી રીતે મારી નાખે.

15 પરંતુ ઈસુ જાણતા હતા કે ફરોશીઓ તેમને મારી નાંખવાની યોજના બનાવતા હતા, તેથી તેઓ શિષ્યોને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. મોટું ટોળું કે જેમાં માંદાઓ પણ હતાં, તેઓ ઈસુની પાછળ ગયા અને તેમણે તેઓ સર્વને સાજાં કર્યાં. 16 પરંતુ તેમણે તેઓને દ્રઢતાથી કહ્યું કે તેઓ બીજા લોકોને તેમના વિષે કહે નહીં. 17 આમ કરવા દ્વારા તેમણે યશાયા પ્રબોધકે લાંબા સમય અગાઉ જે લખ્યું હતું તે પૂરું કર્યું. તેમણે લખ્યું હતું,
18 "મેં જેને પસંદ કર્યો છે, જેને હું પ્રેમ કરું છું અને
જે મને પ્રસન્ન કરે છે તે મારો સેવક અહીં છે.
હું મારો આત્મા તેનામાં મૂકીશ,
અને તે બિન-યહૂદીઓ મધ્યે ન્યાય અને ઉદ્ધાર લાવશે."
19 તે લોકો સાથે ઝઘડો કરશે નહીં, કે બૂમો પાડશે નહીં.
અને તે શેરીઓમાં મોટે અવાજે બોલશો નહીં.
20 નબળા લોકો સાથે તે નમ્ર બનશે;
જો માણસ મુશ્કેલીથી જીવતો હશે, તો તે તેને મારી નાંખશે નહીં.
અને તે લોકોનો તટસ્થતાથી ન્યાય કરશે અને જાહેર કરશે કે તેઓ દોષિત નથી.
21 તેથી બિન યહૂદીઓ અવશ્ય તેમના પર વિશ્વાસ કરશે."

22 એક દિવસ લોકો ઈસુ પાસે એક માણસ કે જેને દુષ્ટાત્મા વળગેલો હતો અને તેના લીધે તે અંધ હતો અને બોલી શકતો ન હતો તેને લાવ્યા. ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો અને તેને સાજો કર્યો. પછી તે માણસ બોલવા લાગ્યો અને તે દેખતો થયો. 23 જે ટોળાએ તે જોયું તેઓ આશ્ચર્ય પામ્યા. તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, "શું આ માણસ મસીહ, દાઉદ રાજાનો વંશજ છે, કે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ?" 24 જ્યારે ફરોશીઓએ આ ચમત્કાર વિષે સાંભળ્યું, ત્યારે તેઓએ કહ્યું, "તે તો ઈશ્વર નહીં પણ બાલઝબૂલ, જે દુષ્ટાત્માઓનો સરદાર છે, તે આ માણસને લોકોમાંથી દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે!" 25 પરંતુ ઈસુએ ફરોશીઓ જે વિચારતા હતા તે જાણ્યું. તેથી તેમણે તેઓને કહ્યું, "જો એક દેશના લોકો એકબીજા સાથે લડાઈ કરે, તો તેઓ પોતાના દેશનો નાશ કરશે. એક જ શહેર કે ઘરમાં રહેતા લોકો એકબીજા સાથે લડે, તો નક્કી તેઓ એક જૂથ કે કુટુંબ તરીકે રહી શકે નહીં. 26 તે જ રીતે, જો શેતાન તેના પોતાના દુષ્ટાત્માને કાઢે, તો તે પોતાની સામે જ લડશે. તે પોતાના ચાકરો પર રાજ કરવા સમર્થ રહેશે નહીં! 27 વધુમાં, જો તે સાચું હોય કે શેતાન મને દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે, તો શું તે પણ સાચું છે કે તમારા શિષ્યો તેઓને શેતાનના સામર્થ્યથી કાઢે છે? ના! તેથી તેઓ તમારો ન્યાય કરશે કારણ કે તમે બોલ્યા છો કે તેમનાં કાર્યો પાછળ શેતાનનું સામર્થ્ય છે. 28 પરંતુ તે તો ઈશ્વરનો આત્મા છે કે જે મને દુષ્ટાત્માઓ કાઢવા સમર્થ કરે છે, તેથી તે સાબિત થાય છે કે સ્વર્ગમાંથી ઈશ્વરનું રાજ્ય ક્યારનું અહીં હયાત છે.

29 હું તમને બતાવીશ કે હું દુષ્ટાત્માને કાઢવા કેમ સક્ષમ છું. જો કોઈ માણસ શેતાન જેવા બળવાન માણસના ઘરમાં જાય અને જો તે, તે બળવાન માણસને પહેલા બાંધે નહીં, તો તે તેની બધી મિલકત લઈ શકતો નથી. પરંતુ જો તે તેને બાંધે, તો પછી તે તેની મિલકત લેવા સક્ષમ બનશે.

30 કોઈ નિષ્પક્ષ રહી શકે નહિ. જેઓ સ્વીકારતા નથી કે પવિત્ર આત્મા મને દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે તેઓ મારો વિરોધ કરે છે, અને જેઓ મારા શિષ્યો બનાવવા લોકોને એકત્ર કરતા નથી તેઓ તે લોકોને મારાથી દૂર કરે છે.

31 તમે કહો છો કે મને દુષ્ટાત્માઓ કાઢવા શક્તિમાન કરનાર પવિત્ર આત્મા નથી. તેથી હું તમને આ કહીશ: જેઓ બીજાઓ પ્રતિ અપરાધ કરે છે અને કોઈક રીતે તેઓનું અપમાન કરે છે અને પછી તેઓ દિલગીર થાય છે અને ઈશ્વર પાસે માફી માગે છે, તો ઈશ્વર તેઓને માફ કરશે. પરંતુ જેઓ પવિત્ર આત્માનું અપમાન કરે છે તે લોકોને તેઓ માફ નહિ કરે. 32 જે લોકો મારી, માણસના દીકરાની, ટીકા કરે છે તેઓને ઈશ્વર માફ કરવા તૈયાર છે. પરંતુ હું તમને ચેતવણી આપુ છું કે પવિત્ર આત્મા જે કરે છે તેના વિષે જેઓ દુષ્ટ બાબતો બોલશે તે લોકોને તેઓ માફ નહિ કરે. ઈશ્વર તેઓને હમણાં કે આવનાર દુનિયામાં પણ, માફ નહીં કરે."

33 "જ્યારે તમે ઝાડ પરનું ફળ જુઓ, ત્યારે તમે નક્કી કરો છો કે તે ફળ સારું છે કે ખરાબ. જો તે સારું હોય, તો તમે જાણો છો કે તેનું ઝાડ પણ સારું છે. જો હું સારી બાબતો કરું છું, તો તમારે જાણવું જોઈએ કે હું સારો છું કે નહીં. 34 તમે ઝેરી સાપોના બચ્ચા જેવા છો! તમે દુષ્ટ છો તે કારણ તમે કઈ સારું બોલી શકતા નથી. માણસ જે બોલે છે તે બતાવે છે કે તેની અંદર શું છે. 35 સારા લોકો સારી બાબતો બોલે છે. કારણ કે તેઓએ સુરક્ષિત જગ્યાએ સર્વ સારી બાબતોનો સંગ્રહ કરી રાખ્યો છે અને ગમે તે સમયે તેઓ તેને બહાર લાવી શકે છે. પરંતુ દુષ્ટ લોકો દુષ્ટ બાબતો બોલે છે. કારણ કે તેઓએ સુરક્ષિત જગ્યાએ સર્વ દુષ્ટ બાબતોનો સંગ્રહ કરી રાખ્યો છે અને ગમે તે સમયે તેઓએ જ્યાં તેનો સંગ્રહ કર્યો હોય ત્યાંથી બહાર લાવી શકે છે. 36 હું તમને કહું છું કે તે દિવસે જ્યારે ઈશ્વર ન્યાય કરશે, ત્યારે તે લોકોને જે દરેક નકામા શબ્દો તેઓ બોલ્યા હશે તે યાદ કરાવશે, અને તેઓ જે બોલ્યા હશે તેના દ્વારા તેઓ લોકોનો ન્યાય કરશે. 37 તમારા બોલેલા શબ્દોના આધારે ઈશ્વર તમને ન્યાયી જાહેર કરશે, અથવા તમારા બોલેલા શબ્દોના આધારે ઈશ્વર તમને દોષિત જાહેર કરશે."

38 પછી ફરોશીઓમાંના કેટલાક અને યહૂદી નિયમના શિક્ષકોએ ઈસુને જવાબ આપ્યો, "ગુરુજી, અમારે તમને ચમત્કાર કરતાં જોવા છે કે જેથી અમે માનીએ કે ઈશ્વરે તમને મોકલ્યા છે." 39 પછી ઈસુએ તેઓને કહ્યું, "પહેલેથી જ તમે લોકોએ મને ચમત્કાર કરતાં જોયો છે, પરંતુ તમે દુષ્ટ છો અને તમે વિશ્વાસુપણે ઈશ્વરને ભજતા નથી! તમે ઇચ્છો છો કે હું સાબિત કરું કે ઈશ્વરે મને મોકલ્યો છે, પરંતુ ઈશ્વર તમને માત્ર એક જ ચમત્કાર બતાવશે. તે તો યૂના પ્રબોધક સાથે જે થયું તેના જેવું હશે. 40 ઈશ્વર યૂનાને પાણીમાંથી બહાર લાવ્યા તે અગાઉ, તે ત્રણ દિવસ અને રાત મોટી માછલીના પેટમાં હતો. તેવી જ રીતે, ઈશ્વર જ્યારે મને, માણસના દીકરાને, જીવિત કરશે, તે અગાઉ હું ત્રણ દિવસ અને રાત પૃથ્વીના ઊંડાણમાં હોઈશ. 41 જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે જે લોકો નિનવે નગરમાં જીવતા હતા તેઓ તમારી બાજુમાં તેમની સામે ઊભા રહેશે. પરંતુ જ્યારે યૂનાએ તેમને ચેતવ્યા ત્યારે તેઓએ પાપ કરવાનું બંધ કર્યું. હવે હું આવ્યો છું, અને હું યૂના હતો તેના કરતાં ઘણો જ મહત્વપૂર્ણ છું, પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેથી ઈશ્વર તમારો ન્યાય કરશે. 42 ઘણા સમય અગાઉ, ઇઝરાયલની દક્ષિણથી શેબાની રાણી, સુલેમાન રાજાનું ડહાપણયુક્ત શિક્ષણ સાંભળવા ઘણા દૂરના પ્રદેશથી આવી હતી. હવે હું તમારી મધ્યે આવ્યો છું, અને હું સુલેમાન હતો તે કરતાં ઘણો જ મહત્વપૂર્ણ છું, પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેથી જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે શેબાની રાણી તેમની સામે તમારી બાજુમાં ઊભી હશે, અને તે તમને દોષિત ઠરાવશે."

43 "કેટલીક વખત જ્યારે દુષ્ટાત્મા વ્યક્તિમાંથી બહાર જાય છે, ત્યારે અન્ય કોઈમાં તે વિસામો લઇ શકે તેને શોધતો, તે ઉજ્જડ પ્રદેશમાં ભટકે છે. જો તેને કોઈ ન મળે, 44 તો તે પોતાને કહે છે, 'જે વ્યક્તિની અંદર હું રહેતો હતો તેનામાં પાછો જઈશ.' તેથી તે પાછો જાય છે અને ખાતરી કરે છે કે ઈશ્વરનો આત્મા તે માણસના જીવનમાં નથી. તે વ્યક્તિનું જીવન તો તે ઘરના જેવું હશે, કે જે વાળીને ચોખ્ખું કરવામાં આવ્યું હોય અને સર્વ બાબતો યોગ્ય ક્રમમાં ગોઠવાયેલી હોય, પરંતુ તે ખાલી છે. 45 પછી એ દુષ્ટાત્મા જાય છે અને બીજા સાત અતિ દુષ્ટ એવા દુષ્ટાત્માઓને લાવે છે, અને તેઓ સર્વ તે માણસમાં પ્રવેશે છે અને ત્યાં રહેવા લાગે છે. તેથી, અગાઉ તો તે વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હતી, પણ હવે તે વધારે ખરાબ થશે. તમે દુષ્ટ લોકો કે જેઓએ મને શીખવતા સાંભળ્યો છે તેઓ તમે એ જ અનુભવ કરશો."

46 હજુ તો ઈસુ ટોળા સાથે વાત કરતા હતા, તેટલામાં તેમના માતા અને નાના ભાઈઓ આવ્યા. તેઓ ઘરની બહાર ઊભા રહ્યાં, અને તેઓ તેમની સાથે વાત કરવા માગતાં હતાં. 47 કોઈએ તેમને કહ્યું, "તમારાં માતા અને નાના ભાઈઓ ઘરની બહાર ઊભા છે, અને તેઓ તમારી સાથે વાત કરવા માગે છે." 48 પછી ઈસુએ તે વ્યક્તિ કે જેણે તેમને તે કહ્યું હતું તેને કહ્યું, "હું તને કહીશ કે મારી માતા અને મારા ભાઈઓ ખરેખર કોણ છે." 49 પછી તેમણે શિષ્યો તરફ દર્શાવતાં કહ્યું, "તે આ જ લોકો છે કે જેઓએ મારાં માતા અને ભાઈઓનું સ્થાન લીધું છે. 50 જેઓ મારા સ્વર્ગમાંના પિતા જે ઇચ્છે છે તે કરે છે, તેઓ જ મારા ભાઈઓ, બહેનો અથવા મારી માતાનું સ્થાન લે છે.